સુરત જિલ્લામાં તા.૧૫ થી ૨૦ મે દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી : ખેડૂતોને તકેદારીના પગલા ભરવા અનુરોધ
તા.૧૫ થી તા.૨૦ મે દરમિયાન સુરત જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોને પાકના રક્ષણ માટે તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને અનુરોધ કરાયો છે.
કમોસમી વરસાદથી થતાં પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક-તાડપત્રી થી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.
જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહિ તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.
એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરાં સાવચેતીના પગલા લેવા અનુરોધ છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન લાવવાનું ટાળવું અથવા લાવવામાં આવી હોય તો તેને સુરક્ષિત રાખવી.
આ અંગે વધુ જાણકારી સંબંધિત વિસ્તારના ગ્રામસેવકશ્રી, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિ.ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નં. ૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવો તેમ સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
