ખેડૂતો બિયારણની ખરીદી વખતે વિશેષ તકેદારી રાખે
અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ, ખાનગી વિક્રેતા પાસેથી જ બિયારણ ખરીદવા અનુરોધ
આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે ખેડૂતોએ ખાસ કાળજી રાખવી હિતાવહ છે. ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. કોઈપણ સંજોગોમાં લાયસન્સ ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી. જેથી, છેતરપિંડીથી બચી શકાય. વધુમાં વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ.
બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરૂ નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું સહી સાથેનું બિલ અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગઈ નથી તેમજ સર્ટિફાઈડ બિયારણ બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈ પણ સંજોગોમાં મુદત પૂરી થઈ ગઈ હોય તેવા બિયારણની ખરીદી ન કરવી. ખાસ કરીને કપાસ તેમજ સીંગદાણા પાકના બિયારણના પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ટ્રુથફુલ લેબલ/સર્ટીફીકેશન ટેગ વગર જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી ન કરવી. આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત તાલુકા ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ) કચેરીને તુરંત જાણ કરવા નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)-સુરતની યાદીમાં જણાવાયું છે.
