મેજિસ્ટ્રેટે પૂછ્યું, ‘તારું નામ શું?” તેમણે કહ્યું, ‘દશરીબેન રૂમશીભાઈ.’
ક્યાં રહે છે?” પ્રત્યુત્તર આપ્યો, ‘ભારત.’
‘તું ક્યાં કામ કરે છે?” તેમણે ફરીથી કહ્યું ‘ભારત.’
મેજિસ્ટ્રેટે પૂછ્યું કે ‘તું શું કરે છે?’ ત્યારે નીડરતાથી જવાબ આપ્યો ‘સ્વરાજ મેળવવાનું.’
આવા પ્રશ્નો જવાબો પછી મેજિસ્ટ્રેટે સાહજિક કહ્યું: ‘આ છોકરી બહુ ખતરનાક છે.’ This girl is very dangerous.
દશરીબેનનો પરિવાર પહેલેથી જ શિક્ષણ તરફની દિશાવાળો તેમજ સ્વાતંત્ર્યપ્રાપ્તિના ધ્યેયવાળો. એટલે જ તો ઇ.સ. ૧૯૨૪માં ગાંધીજી પ્રથમ વખત વેડછી ખાતે પધાર્યા ત્યારે દશરીબેનના ઘરે એટલે કે એમના દાદા જીવણભાઈ ભાભરભાઈ ચૌધરી કે જેમણે વેડછી ખાતે આ પ્રથમ શાળા શરૂ કરી હતી. એમના ઘરે રોકાયા હતા. આમ, એમનો પરિવાર પહેલેથી જ શિક્ષણ અને સ્વાતંત્ર્ય માર્ગને વરેલો એટલે ૩ ઓક્ટોબર ૧૯૧૮ના રોજ જન્મેલાં દશરીબેનને માંડવી તાલુકાના પુના ખાતે કસ્તુરબા દ્વારા શરૂ કરવામાં આવેલા આશ્રમમાં અભ્યાસાર્થે મૂકવામાં આવ્યા હતા. સ્વદેશીની લડત ચાલુ જ હતી ત્યારે ગાંધીજીનો સંદેશો આવ્યો કે આશ્રમ છોડી સત્યાગ્રહમાં સામેલ થઈ જાવ. દશરીબેન સહિત સાત બહેનોની ટુકડી સુરત ખાતે વિદેશી કાપડનો વેપાર કરતા વેપારીઓની દુકાને પિકેટિંગ – કરવા પહોંચી ગઈ. પિકેટિંગ ટાણે ચળવળકારોની ધરપકડ થઈ અને અંતે સજા પામેલા આંદોલનકારીઓ ને યરવડા મોકલવામાં આવ્યા. ત્યાં અગાઉથી જ એક વિભાગમાં ગાંધીજી અને બીજા વિભાગમાં કસ્તુરબા બંદીવાન હતાં. ગુજરાતની બહેનો પકડાઈને આવ્યાંનું જાણી તરત જ કસ્તુરબા મળવા આવ્યાં અને પુના આશ્રમની વાતો તાજી કરી, માત્ર ચૌદ વર્ષની વયે સ્વતંત્ર સેનાની તરીકે પકડાઈને આવેલ દશરીબેને જોઈને આનંદ પામ્યાં કે આટલી નાની વયે પણ આ છોકરીએ અનોખી હિંમત રાખી છે. સજાના દિવસો પસાર થઈ રહ્યા હતા. એવામાં ઉદ્યોગના સમયે એક દિવસ આ આદિવાસી દિકરી દશરીબેનને કસ્તુરબાએ પૂછ્યું, ‘તું મને વાંચતાં લખતાં શીખવીશ?’ દશરીબેન અચંબિત થયાં કે શું પુના આશ્રમમાં રસોઈના અને સ્વચ્છતાના પાઠ જેઓ શીખવતાં એ કસ્તુરબાને હું અક્ષરજ્ઞાન આપું! કહ્યું, બા, તમે મોટાં છો એટલે મને શરમ આવે. ત્યારે બા કહે એમાં શું થયું? મને ભણાવ…
અને પછી શરુઆત થઈ બાને કક્કા બારખડી ઘૂંટાવવાની. નવરાશના સમયનો સદુપયોગ થયો.
દક્ષિણ આફ્રિકામાં બાપુએ બાને લખતાં વાંચતાં શીખવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ખાસ સફળતા મળી ન હતી. દશરીબેન પાસેથી અભ્યાસ કર્યાના અંતે જ્યારે કસ્તુરબાએ ગાંધીજીને જેલમાંથી જેલમાં જ સ્વહસ્તે પત્ર પાઠવ્યો ત્યારે પૂછ્યું કે, ‘વાંચન-લેખન કઈ રીતે શીખ્યા?” પ્રત્યુત્તરમાં બાએ લખ્યું કે, ‘મારા વિદ્યાલયની વિદ્યાર્થિની દશ૨ી પકડાઈને અહીં જેલમાં આવી છે તેણે મને શીખવ્યું છે.’ ત્યાર પછીના પત્રમાં બાપુએ લખ્યું કે, આ છોકરીને કહેજો કે જે હું ન કરી શક્યો તે તમે કરી શક્યા છો, શાબાશ, ધન્યવાદ.’
જ્યારે આદિવાસીની દીકરી અને એ પણ પાછી સત્યાગ્રહી તરીકે બંદીવાન થયેલી નાનકડી છોકરીના પ્રતાપે કસ્તુરબા વાંચતાંલખતાં થયાં હોય ત્યારે ગાંધીજીનો આનંદ સ્વાભાવિક જ હોય!
અનેક ચળવળોમાં દશરીબેને સામેલ રહી ગાંધીજી તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા ટોચના સ્વાતંત્ર્ય વીરો સાથે કામ કર્યું હતું. ૨ સપ્ટેમ્બર ૨૦૧૩ ના દિવસે દશરીબેને આ ફાની દુનિયા છોડી હતી. આજે પણ સ્વાતંત્ર્ય સેનાની તરીકે એમનું નામ આદરપૂર્વક આદિવાસી સમુદાયમાં જીવંત છે.
– કુલીન પટેલ
