જમવાના નજીવા મામલે હત્યા: મહુવાના ભોરિયા ગામે પિતાએ 20 વર્ષના પૂત્રનું ઢીમ ઢાળી દીધું
-પિતાએ જમી લે નહિતર ઘરની બહાર નિકળ કહેતાં ઝપાઝપી થઇ
અનાવલ : સુરત જિલ્લાના મહુવાના ભોરિયા ગામે એક પિતાએ પોતાના પૂત્રને જમવાનો હોય તો જમી લે નહિ તો ઘરની બહાર નિકળ એમ કહેતાં પુત્રએ પિતાને ગાળો આપતાં બંન્ને વચ્ચેની ઝપાઝપી થઇ હતી.જેમાં ક્રોધે ભરાયેલા પિતાએ પોતાના 20 વર્ષીય પૂૂત્રનું ગળું દબાવી નિર્મમ હત્યા કરતાં ચકચાર મચી ગઇ હતી.
સુરતના મહુવા તાલુકામાં ભોરિયા ગામમાં પાદર ફળિયામાં રહેતાં સુરેખાબેન રાજેશભાઇ હળપતિ,ઉ.41નાએ પોતાના 20 વર્ષીય પૂત્ર અજયને રાત્રે સાડા નવના સૂમારે જમવાનુ બની ગયેલ છે તો તું જમી લે, તેમ કહેતાં અજયે કહ્યું કે,હું આપણાં ફળિયામાં છોકરાઓ સાથે બેસવા માટે જવાનો છું અને મને હાલ ભુખ નથી તો પછી આવીને જમી લેવા તેમ કહ્યું હતું.જમવા બાબતે માતાએ પૂત્રને કહેતાં પિતા રાજેશભાઇએ એકદમ બિભત્સ નાલાયક ગાળો આપી કહ્યું હતું કે,તું જમવાનો હોય તો જમી્ લે નહિ તો ઘરની બહાર નિકળી જા,તેમ કહેતા પૂત્ર અજયને ખોટું લાગી આવ્યું હતું.જેના પગલે તેણે પિતા રાજેશભાઇને પણ ગાળો આપતાં બંન્ને ઝપાઝપી કરવા લાગ્યા હતા.દરમિયાન પિતા રાજેશભાઇએ ઉશ્કેરાઇ જઇ અજયને ઢિક્કામૂક્કીથી માર મારી તેનું પૂરી તાકાતથી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ મામલે રાજેશ રમેશભાઇ હળપતિ વિરૂધ્ધ પત્ની સુરેખાબેન રાજેશભાઇ હળપતિએ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
