‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત સુરત જિલ્લામાં તા.૩૦મી જુનથી તા.૧૫મી જુલાઈ સુધી આદિવાસી પરિવારોને મળશે યોજનાકીય લાભો
અનુસુચિત જનજાતિના લોકોને અનેકવિધ યોજનાઓ લાભો ઘરઆંગણે મળી રહે તે માટે ખાસ કેમ્પોનું આયોજન
જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીની અધ્યક્ષતામાં બેઠક મળી
ભારત સરકારે આદિવાસી સમૂહોના સર્વાંગી વિકાસ માટે ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ શરૂ કર્યું છે, જે અંતર્ગત રાજ્ય સરકારના વિવિધ ૧૩ વિભાગો સાથે સંકલન સાધીને આદિજાતિ વિસ્તારના લોકોને સરકારની યોજનાઓના મહત્તમ લાભ મળે તે માટેના આયોજન અર્થે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટરે કહ્યું કે, ધરતી આબા અભિયાન અંતર્ગત આગામી તા.૩૦-૦૬-૨૦૨૫ થી તા.૧૫-૦૭-૨૦૨૫ દરમિયાન સંબધિત અધિકારીઓ સાથે મળીને આદિજાતિના લોકોને આધારકાર્ડ, રેશનકાર્ડ, આયુષ્યમાન કાર્ડ, જનધન બેંક ખાતા, પીએમ કિસાન સન્માન નિધિ જેવી વ્યક્તિલક્ષી યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ મળી રહે તે માટે ખાસ ઝુંબેશ તથા કેમ્પનું આયોજન કરવામાં આવશે.
કલેકટરશ્રીએ આ અભિયાન હેઠળ સુરત જિલ્લાના નવ તાલુકાઓમાં ૩૯૮ ગામોમાં મહત્તમ કેમ્પનું આયોજન કરીને આદિવાસી પરિવારોને યોજનાઓના મહત્તમ લાભો પહોચાડવાનો અનુરોધ કર્યો હતો.
બેઠકમાં માંડવી પ્રાયોજના વહીવટદાર, પ્રાંત અધિકારીઓ, મામતલદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
