શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫:સુરત જિલ્લો
રાજ્ય સહિત સુરત જિલ્લામાં તા.૨૬થી ૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે
સુરત જિલ્લાની ૧૦૮૯ શાળાઓના ૨૧ હજારથી વધુ બાળકો આંગણવાડી, બાળવાટિકા અને ધો.૧ માં કરશે પા..પા..પગલી..
દરેક બાળકને શિક્ષણની સમાન તક આપવાના ઉદ્દેશથી રાજ્યભરમાં વર્ષ ૨૦૦૩થી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સુરત સહિત રાજ્યભરમાં ‘આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ’ની થીમ સાથે તા.૨૬,૨૭ અને ૨૮ જૂને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાશે. જેમાં જિલ્લાની ૧૦૮૯ શાળાઓના કુલ ૨૧,૯૪૬ બાળકો આંગણવાડી, બાળવાટિકા અને ધો.૧ માં પ્રવેશ મેળવશે.
સુરત જિલ્લાના બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ,પલસાણા, અને ઉમરપાડા સહિતના તાલુકાઓની ૧૦૮૯ શાળાઓમાં ૨૨૩૦ આંગણવાડીમાં, ૯૨૭૩ બાલવાટિકમાં, ૧૦૪૪૩ બાળકો ધો.૧માં પ્રવેશ મેળવશે. સાથે જ આ વર્ષે ધોરણ ૮ પછીના માધ્યમિક તેમજ ધો.૧૦ બાદના ઉ. માધ્યમિક શિક્ષણને પ્રાધાન્ય આપવા માટે ધો.૯ અને ૧૧ના બાળકોનો પણ સમાવેશ શાળા પ્રવેશોત્સવમાં કરવામાં આવશે. જેથી ધો.૯ના ૧૫૫૭૭ તેમજ ધો.૧૧ના ૮૧૮૪ બાળકો મળીને આ વર્ષે શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ હેઠળ સુરત જિલ્લાના કુલ ૪૫,૭૦૭ બાળકો આંગણવાડી, બાળવાટિકા, ધો.૧,૯ અને ૧૧ માં પ્રવેશ મેળવશે.
