પક્ષી બચાવો…પ્રકૃતિ બચાવોનો સંદેશો આપતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પોતાના ઘરમાં અને ઘરની આસપાસ પાણીના કુંડાઓ પક્ષીઓની તરસ છીપાવવા માટે સૌ નાગરિકો, ખાસ કરીને શાળાના બાળકો અને નાનકડા ભૂલકાઓને અનુરોધ કરતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
ઉનાળાની ઘગઘગતા ભઠ્ઠા જેવી ગરમીમાં તરસથી ત્રસ્ત અબોલ પક્ષીઓને બચાવવાનો સંદેશ આપતાં રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ આજે તેમના નિવાસસ્થાનેથી પક્ષીપ્રેમ અને પર્યાવરણ સંરક્ષણ માટે સૌ નાગરિકોને અનુરોધ કર્યો.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, “ઘરની આસપાસ નાનકડા પાણીના કુંડાઓ મૂકીને આપણે અનેક પક્ષીઓના જીવ બચાવી શકીએ છીએ. આ નાનકડું પગલું પ્રકૃતિ માટે મોટો સહારો બની શકે છે.”
તેમણે ખાસ કરીને માતા-પિતાઓને અનુરોધ કર્યો કે તેઓ બાળકો સાથે મળીને પક્ષીઓ માટે પાણી મૂકવાની પ્રવૃત્તિમાં જોડાય. “આવી સહભાગીતા બાળકોમાં જીવદયા, કરુણા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાનું સંસ્કાર બીજ રોપી શકે છે,” એમ મંત્રીશ્રીએ જણાવ્યું.
બાળકોને મંત્રીશ્રીએ ઉમેર્યું કે:
“તમે પણ તમારા ઘરમાં, ટેરેસ પર કે બારણાની બારી પાસે નાનકડો પાણીનો કુંડો મૂકો; જેથી પક્ષીઓ તેમના નિવાસ્થાને આવીને પાણી પીને આ કાળઝાળ ગરમીમાં રાહત મેળવે. દરરોજ તેનું પાણી બદલો. પાણીપીને તૃપ્ત થતા પક્ષીઓનું કલરવ સાંભળવું અને તેમને મદદરૂપ થવું એ જીવનમાં સાચો આનંદ આપે છે.
મંત્રીશ્રીએ પોતાના નિવાસસ્થાને પણ પક્ષીઓ માટે પાણીના કુંડાઓ મૂકીને સૌ નાગરિકો અને ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ અને નાનકડા ભૂલડાઓને જીવદયાનું સરસ સંદેશ આપ્યો.
