શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ:સુરત જિલ્લો
રાજ્ય સહિત સુરત જિલ્લામાં તા.૨૬થી ૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ યોજાશે
સુરત જિલ્લાની ૧૦૮૯ શાળાઓના ૨૧ હજારથી વધુ બાળકોને મંત્રીઓ, પદાધિકારીઓ, આઈ.એ.એસ.અધિકારીઓના હસ્તે આંગણવાડી, બાળવાટિકા અને ધો.૧ માં પ્રવેશ કરાવાશેઃ
તા.૨૬મીએ ગૃહરાજયમંત્રી હર્ષભાઈ સંધવી ઉત્રાણ પ્રાથમિક શાળા ખાતે બાળકોનું શાળામાં નામાંકન કરાવશેઃ
દરેક બાળકને શિક્ષણની સમાન તક આપવાના ઉદ્દેશથી રાજ્યભરમાં વર્ષ ૨૦૦૩થી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સુરત શહેર-જિલ્લાની સરકારી પ્રામથિક, સરકારી અને અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ‘આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ’ની થીમ સાથે તા.૨૬,૨૭ અને ૨૮ જૂને શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાશે. જેમાં જિલ્લાની ૧૦૮૯ શાળાઓના કુલ ૨૧,૯૪૬ આંગણવાડી, બાળવાટિકા અને ધો.૧ના બાળકોને ગૃહરાજમંત્રીશ્રી હર્ષભાઇ સંધવી, વન અને પર્યાવરણ રાજય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ રાજયમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ તથા ધારાસભ્યો, અધિકારીઓના હસ્તે વાજતે ગાજતે શાળામાં પ્રવેશ કરાવાશે.
તા.૨૬મીના રોજ ગૃહરાજયમંત્રી હર્ષ સંધવી સવારે ૯.૦૦ વાગે ઉત્રાણ ખાતે આવેલી મહારાજા કૃષણકુમાર સિંહજી તથા શ્રી પ્રમુખસ્વામી મહારાજ પ્રાથમિક શાળા ખાતે બાળકોને પ્રવેશ અપાવશે.
સુરત જિલ્લાના બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ,પલસાણા, અને ઉમરપાડા સહિતના તાલુકાઓની ૧૦૮૯ શાળાઓમાં ૨૨૩૦ આંગણવાડીમાં, ૯૨૭૩ બાલવાટિકામાં, ૧૦૪૪૩ બાળકો ધો.૧માં પ્રવેશ મેળવશે. સાથે જ આ વર્ષે ધોરણ ૮ પછીના માધ્યમિક તેમજ ધો.૧૦ બાદના ઉ. માધ્યમિક શિક્ષણને પ્રાધાન્ય આપવા માટે ધો.૯ અને ૧૧ના બાળકોનો પણ સમાવેશ શાળા પ્રવેશોત્સવમાં કરવામાં આવશે. જેથી ધો.૯ના ૧૫૫૭૭ તેમજ ધો.૧૧ના ૮૧૮૪ બાળકો મળીને આ વર્ષે શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ હેઠળ સુરત જિલ્લાના કુલ ૪૫,૭૦૭ બાળકો આંગણવાડી, બાળવાટિકા, ધો.૧,૯ અને ૧૧ માં પ્રવેશ મેળવશે.
