સુરત શહેરમાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સફાઈ ઝુંબેશ
૧૯૬૨ સફાઈ કામદારો ૧૦ JCB, ૨૭ ટ્રક વડે અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સાફ-સફાઈ હાથ ધરવામાં આવી
૧૬૦ સર્વેલન્સ વર્કરોએ ૨૯,૦૪૬ વસ્તીનો સર્વે કરી ૧૩,૬૩૬ કલોરીન ટેબ્લેટનું વિતરણ કર્યું
સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસ્યો હતો. શહેરના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાતા પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે શહેરના વરાછા ઝોન-એ ના સણીયા હેમાદ, પુણા, કાપોદ્રા, વરાછા ઝોન-બી ના સરથાણા, સીમાડા, રાંદેર ઝોનના પાલનપુર અને પાલ, કતારગામ ઝોનના કતારગામ, ડભોલી, છાપરાભાઠા, ઉધના ઝોન-એ ના ઉધના સંઘ, સોનલ ભેદવાડ, મીરાનગર, ઉધના ઝોન-બી ના કનસાડ ગામ, લિંબાયત ઝોનના મીઠી ખાડી, આંજણા, ઉમરવાડા, પરવત તેમજ અઠવા ઝોનના રસુલાબાદના વિસ્તારોમાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ઓસરતા આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે તાત્કાલિક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ ઝુંબેશમાં આરોગ્ય વિભાગના ૨૨૮ સુપરવાઇઝરોના સઘન મોનિટરિંગ અને સુપરવિઝન હેઠળ ૧૯૬૨ સફાઈ કામદારો ૧૦ JCB, ૨૭ ટ્રક વડે અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ ૯૪.૬૭ મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ કરી, ૫૦૩૮ કિ.ગ્રા. જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ૯૪૫૦ ફૂડ પેકેટ, ૪૬૨૦ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અસરગ્રસ્ત વિસ્તારો તથા શેલ્ટર હોમમાં ૪૮ રેપિડ રિસ્પોન્સ ટીમ મારફત આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં ૧૬૦ સર્વેલન્સ વર્કર દ્વારા ૨૯,૦૪૬ વસ્તીનો સર્વે કરી ૧૩,૬૩૬ કલોરીન ટેબ્લેટનું વિતરણ કરાયું હતું. તેમજ તાવના ૩૬, ઝાડા-ઉલટી ૧૦ અને અન્ય ૧૦૯ દર્દી મળી કુલ ૧૫૫ લોકોને સ્થળ ઉપર સારવાર આપવામાં આવી હતી. તેમજ આ વિસ્તારોમાં આરોગ્યલક્ષી શિક્ષણ જેમ કે વ્યકિતગત સ્વચ્છતા, પાણીને ઉકાળીને પીવુ કલોરીનયુકત પાણી પીવાની સમજણ અપાઈ હતી.
