સુરત જિલ્લો: શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪
રાજ્ય સહિત સુરત જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો શુભારંભ
બારડોલી તાલુકાની ૩ શાળાઓમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધો.૧,૯ અને ૧૧ના કુલ ૧૩૨ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવતા ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમાર
રાજ્ય સહિત સમગ્ર સુરત જિલ્લામાં ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાયો હતો. જે હેઠળ ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમારે બારડોલી તાલુકાની ઉમરાખ અને ખરવાસા પ્રા.શાળામાં આંગણવાડી, બાળવાટિકા અને ધો.૧ના કુલ ૨૪ ભૂલકાઓને પુસ્તક અને કપડાં સહિતના ઉપહારો આપી પા. પા.. પગલી મંડાવી હતી. જ્યારે એકલવ્ય મોડલ રેસી. શાળાના ધો. ૯ અને ૧૧ના ૧૦૮ વિદ્યાર્થીઓ મળી ત્રણેય શાળાના કુલ ૧૩૨ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવી પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા પ્રોત્સાહન આપ્યું હતુ.. તેમજ રાજ્યસરકારની શિક્ષણ સહિતની દરેક કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, શિક્ષણના માધ્યમથી બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઘડવા અને દિકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૦૩થી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે.
આ પ્રસંગે વિવિધ ગામના સરપંચશ્રીઓ, CHO ડૉ. પંકજ અણાસિયા, જિલ્લા પં. સદસ્ય રેખાબેન રાઠોડ, આરોગ્ય સમિતિ અધ્યક્ષ રોશન પટેલ, શાળાના કર્મચારી/શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
