લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ-સુરત શ્રી વિજય રબારીએ એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની હદના વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો દ્વારા ભાષણો, પોસ્ટરો, સંગીત વગેરે સહિત મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારા જેવા કોઇ પણ પ્રકારના પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ જાહેરનામાનો તા.૧૪/૫/૨૦૨૪ સુધી અમલ કરાશે. તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
