સુરત જિલ્લામાં રૂ.૬.૩૮ કરોડના ખર્ચે ૨૫૧ આંગણવાડી કેન્દ્રોના અપગ્રેડેશન અને નવ નિર્મિત થયેલી ૧૭ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરતાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા
બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમારની પ્રેરક ઉપસ્થિતિ
૦-૬ વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને પ્રાથમિક શિક્ષણ માટે મહત્વની કામગીરી આંગણવાડી કેન્દ્રોના માધ્યમથી કરવામાં આવી રહી છેઃ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા
બારડોલી તાલુકાના રામપુરા ગામ ખાતે સુરત જિલ્લા પંચાયત દ્વારા નવ નિર્મિત થયેલી ૧૭ આંગણવાડી કેન્દ્રો(નંદઘર)નું લોકાર્પણ અને પંચાયતના સ્વ-ભંડોળ અને મહિલા બાળ વિકાસ વિભાગ,ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે રૂ.૬.૩૮ કરોડના ખર્ચે ૨૫૧ આંગણવાડી કેન્દ્રોના અપગ્રેડેશનની કામગીરીના પ્રારંભનો કાર્યક્રમ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે બારડોલી સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ અને વૃક્ષારોપણ કરાયું હતું.
આ પ્રસંગે શિક્ષણ રાજયમંત્રીએ જણાવ્યું કે, સારા કર્મો અને કાર્યોનું મળેલું ઉતમફળ એટલે સન્માન. નિમિતમાત્ર બની બાળકના હિત માટે પોતાનું સર્વ સમર્પણ કરી દેનાર આંગણવાડીઓના બહેનો બાળકના માતા-પિતા તુલ્ય છે, જેઓ પરિણામની ચિંતા કર્યા વગર રચનાત્મક અભિગમથી બાળકોમાં પારિવારિક મૂલ્યોનું બીજારોપણ કરી રહ્યા છે. ૦-૬ વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, કિશોરીઓ માટે આરોગ્ય, પોષણ અને પ્રાથમિક શિક્ષણ માટે મહત્વની કામગીરી આંગણવાડી કેન્દ્રોના માધ્યમથી કરવામાં આવે છે. આઈ.સી.ડી.એસ. હેઠળ આંગણવાડી કેન્દ્ર ખાતે સંચાલકીય અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, રાજયની તમામ આંગણવાડી કેન્દ્રોને પોતાનું સુવિધાયુક્ત મકાન ઉપલબ્ધ થાય અને બાળકોને સ્વચ્છ, સુંદર અને ખુશનુમા વાતાવરણ મળી રહે તે માટે રાજય સરકાર કટિબધ્ધ છે.
આ પ્રસંગે બારડોલીના સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નિતિ લાગુ કરી છે, જેના થકી બાળકોને ગુણવતાયુક્ત શિક્ષણ પ્રદાન થઇ રહ્યું છે. બાળકોના અભ્યાસ માટેનું પહેલુ પગથીયું આંગણવાડી કેન્દ્ર છે, જેમાં સરકારની વિવિધ યોજના થકી બાળકોને શિક્ષણ સાથે પ્રોટીનયુક્ત આહાર આપવામાં આવે છે. પૌષ્ટ્રિક આહાર મળતાં બાળકો નાનપણથી જ ઉર્જાવાન બને છે અને તેનો વિકાસ સારો થાય છે. વિવિધ સુવિદ્યાથી સજ્જ આંગણવાડીમાં બાળકોને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળ્યા બાદ બાળક જીવનમાં ક્યારેય પાછળ રહેશે નહિ તેમ જણાવીને ઉપસ્થિત સૌ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ અવસરે રામપુરા ગ્રામજનોએ વિનામૂલ્યે ગામનો હોલ આપીને કાર્યક્રમને દિપાવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીમતી ભાવિનીબેન પટેલ, જિલ્લા કલેકટરશ્રી ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ શ્રીમતી દરિયાબેન વસાવા, પલસાણા અને બારડોલી તાલુકા પંચાયતના પ્રમુખો, નાયબ જિલ્લા વિકાસ અધિકારી(મહેસુલ) પિયુષ પટેલ, કાર્યપાલક ઇજનેર ર્કિતેશ પટેલ, જિલ્લા પં.ના માજી પ્રમુખશ્રી ભાવેશભાઇ પટેલ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકોર, રામપુરા ગામના સરપંચ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, તાલુકાના બાળ વિકાસ યોજનાના અધિકારીઓ, આંગણવાડી કેન્દ્રની કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
