વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સુરતના યુવા કવિ, ગઝલકાર ડૉ.અમિત ગામીના છ પુસ્તકોનું વિમોચન
વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના સેનેટ હોલ ખાતે સુરતના યુવા કવિ, ગઝલકાર ડૉ.અમિત ગામીના ગઝલના છ પુસ્તકોનું વિમોચન કુલપતિશ્રી ડૉ.કિશોરસિંહ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. ડૉ.અમિત ગામીના સ્વરચિત ગઝલકાવ્ય રચનાઓનો સંગ્રહ ‘શ્વાસ’, સંશોધનગ્રંથો ‘ગઝલપ્રવેશ’, ‘રાજેન્દ્ર શુક્લનું ગઝલકર્મ’, ‘મનોજ ખંડેરિયાનું ગઝલકર્મ’, ‘હરીશ મીનાશ્રુનું ગઝલકર્મ’ અને ‘રાજેશ વ્યાસનું ગઝલકર્મ’ પુસ્તકોનો સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં કુલપતિશ્રીએ સંશોધન પુસ્તકો અંગે આનંદ વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાજસ્થાન અને દિલ્હી પ્રાંતના સંગઠન મંત્રીશ્રી અશ્વની શર્માએ સાહિત્ય, સંશોધન, રાષ્ટ્ર, સંસ્કૃતિ, સમાજ, સંસ્કાર, પર્યાવરણ, બંધારણ જેવાં વિષયોનો ભાષા સાથે સંબંધ દર્શાવી પોતાનું સાહિત્યિક વ્યક્તવ્ય આપી સંશોધનગ્રંથો વિશે વિશદ છણાવટ કરી હતી.
આ પ્રસંગે નર્મદ યુનિ.ના પૂર્વ સેનેટ સભ્ય એડવોકેટ કિરણભાઈ ઘોઘારી, પાયોનિયર શાળાના ટ્રસ્ટીશ્રી અલ્પેશભાઈ સાવલિયા સહિત ગઝલપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
